જીવનચરિત્ર કથા : ભાગ 211
ગુજરાતી કવિ મણિલાલ ભગવાનજી દેસાઈ (1939-1966) નો આજે જન્મદિવસ છે.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
ગામને પાદર ઘૂઘરાં વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.
કાલ તો હવે વડલાં ડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલાં સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.
આજની જુદાઈ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળ પાપડી વીણશું લોલ,
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
આ અમર ગીતનાં સર્જક મણિલાલ દેસાઈનો આજે જન્મદિવસ છે. ગુજરાતી સાહિત્યમાં રસ ન ધરાવતા હોય એવા લોકોના કાને પણ જો આ ઉપરોક્ત પંક્તિઓ પડી જાય તો ગણગણ્યા વિના રહી શકે નહીં. એટલી લોકપ્રિયતા હાંસિલ કરી ચૂકેલું ગુજરાતી સાહિત્યનું આ અમર ગીત સૌ કોઈનું મનગમતું ગીત છે. આ ગીતના શબ્દો સાંભળતાં વેંત જ બહુ જ ટૂંકી ઉંમરમાં અવસાન પામેલા સર્જક મણિલાલ દેસાઈ યાદ આવે. ગુજરાતી ભાષાને એવા સર્જકો પણ મળ્યા છે કે જેમની ઉંમર બહુ જ ટૂંકી છતાં પણ તેમનું સર્જન એટલું બળકટ કે આજ સુધી લોકહૃદયમાં રમતું રહ્યું છે. કવિ ‘કલાપી’ અને મણિલાલ દેસાઈ એનાં ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. મણિલાલ દેસાઈએ ગુજરાતી સાહિત્યને ગીત અને ગઝલને લયબદ્ધ રચનાઓથી રળિયાત કર્યું છે. મણિલાલ દેસાઈનો જન્મ 19મી જુલાઈ 1939ના રોજ વલસાડના ગોરેગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ભગવાનજી અને માતાનું નામ ગજરાબેન. તેમણે બી.એ. અને એમ.એ.ની પદવી મેળવી મુંબઈની ઝૂનઝૂનવાલા કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા હતા. ગીત, ગઝલ છાંદસ, અછાંદસ, ગદ્યકાવ્ય વગેરે સ્વરૂપમાં તેમણે ખેડાણ કર્યુ છે. ‘ગાંધીજીના શિષ્યો’ તેમની પ્રથમ રચના હતી. કવિ શ્રી સુરેશ દલાલે ‘અંધકારના રંગ, લય અને ગતિના કવિ’ તરીકે ઓળખાવ્યા છે. મણિલાલ દેસાઈએ ‘પલ’, ‘અંધારું’, ‘તોય તમે ના આવ્યા’, ‘રાનેરી’, ‘રંગ લયગતિ’, જંગલો’, બોલ વાલમના વગેરે ખૂબ જ જાણીતી રચનાઓ આપી છે. સુરેશ જોશી લખે છે કે, “રાત સાથેના અધ્યાસોને એવી રીતે મણિલાલ પ્રસ્તુત કરે છે કે એનું એક આગવું વાતાવરણ રાચતું આવે છે. એમાં પણ ઈન્દ્રિય સમય પ્રત્યક્ષ સમૃદ્ધિ છે.” 1960ની આસપાસથી એમનું કાવ્ય લેખન આરંભાયેલું, કવિતામાં પોતાની આગવી મુદ્રા ઉપસાવી શકે એવું સર્જન થવાની આશા બંધાઈ એ જ વખતે માત્ર 27 વર્ષની વયે ટૂંકી માંદગીમાં અવસાન પામ્યા. જયંત પારેખના સંપાદનરૂપે એમનો મરણોત્તર અને એકમાત્ર કવિતા સંગ્રહ ‘રાનેરી’ 1968માં પ્રગટ થયો. યુવાન વયે 4 મે 1966 ના રોજ અમદાવાદમાં અવસાન થયું. ભાવવંદન 👏💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Manilal Bhagwanji Desai


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877