ગુજરાતી સાહિત્યકાર દિગીશ નાનુભાઈ મહેતા (૧૨ જુલાઈ ૧૯૩૪ ― ૧૩ જૂન ૨૦૦૧) કે જેઓ નિબંધકાર, નવલકથાકાર અને વિવેચક પણ હતા. આજે તેમનો જન્મદિવસ છે.
તેમનો જન્મ પાટણમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિદ્ધપુરમાં પૂર્ણ કર્યું. ૧૯૫૩માં અંગ્રેજી-મનોવિજ્ઞાન વિષયો સાથે બી.એ. અને ૧૯૬૮માં યુનિવર્સિટી ઑવ લિડ્સમાંથી એમ.એ. પૂર્ણ કર્યું. તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. ૧૯૬૩માં તેમના લગ્ન સ્મિતા સાથે થયેલા અને એમને બે દીકરીઓ હતી. તેમનાં સર્જન જોઇએ તો… આપણો ઘડીક સંગ (૧૯૬૨) એમની વિનોદશૈલીની એક પ્રયોગસભર લઘુનવલ છે. કૉલેજકન્યા અર્વાચીના અને પ્રોફેસર ધ્રૂર્જટિનાં પ્રણય, સગપણના વસ્તુને અહીં અમદાવાદના શહેરી જીવનની પડછે હળવીગંભીર શૈલીએ મૂર્ત રૂપ મળ્યું છે. ૧૫૮ પૃષ્ઠ અને બાવીસ પ્રકરણોમાં વહેંચાયેલી આ કથાના તાણાવાણા ગૂંથાયા છે. એક લાક્ષણિક પ્રયોગ લેખે આ લઘુનવલનું ઐતિહાસિક મૂલ્ય ગણાયું છે. પાત્ર કે પરિસ્થિતિ પરત્વે લેખકની વક્રતા અને એમનો વ્યંગ વિનોદને પ્રેરે છે, છતાં એકંદરે લાગણીનો પુટ આ હાસ્યકથાને વિશિષ્ટ બનાવે છે. દૂરના એ સૂર (૧૯૭૦) એ દિગીશ મહેતાના અંગત અને લલિતાત્મક નિબંધોનો સંગ્રહ છે. તેની લલિતનિબંધની ચૌદ રચનાઓમાં એમની લેખિની ‘મનુષ્ય’ને, તેના માનવવિવર્તોને, તેના સ્વભાવની વિસંગતિઓ અને વિચિત્રતાઓને તાગવા-તાકવાનું વલણ વિશેષ ધરાવે છે. વસ્તુ કે પાત્રને ચિત્રાત્મક ઉઠાવ આપવાની શક્તિ એમની કલમમાં છે. બાળપણના સંસ્કારોનાં અંગત સાહચર્યો અને ઉત્તમ સાહિત્યજગતના ઉલ્લેખોથી તૈયાર થયેલું આ નિબંધોનું સ્વરૂપ આસ્વાદ્ય અને સંવેદનશીલ છે. આ નિબંધોની બાબતમાં નિબંધકાર એકરાર કરે છે તેમ, એમનું મન શહેરમાંથી ઊડીને પચાસ માઈલ દૂર આવેલા એમના ગામના એક મંદિરના કોટની ભીંત આગળ પથરાયેલા એક બીજા વૃક્ષની છાયા તરફ ફરે છે અને એમ એ પોતાની દિશા મેળવી લે છે. આ સંગ્રહના ‘ઘર’, ‘પુલ’, ‘પ્રવાહ’, ‘પાત્રો’, ‘લોક’ કે ‘દ્રશ્યો’ જેવી રચનાઓમાં એમની આ શક્તિ વિશેષ ખીલેલી જોવાય છે અને આ નિબંધો ગુજરાતી નિબંધસાહિત્યના અત્યંત આસ્વાદ્ય નિબંધોમાં સ્થાન પામેલા છે. પરિધિ (૧૯૭૬) એમની અભ્યાસનિષ્ઠાનો દ્યોતક વિવેચનસંગ્રહ છે. વિદેશના કેટલાક સર્જકોની મહત્ત્વપૂર્ણ કૃતિઓની વિચારણા, કેટલાક સૈદ્ધાંતિક મુદ્દાઓની વિશદ ચર્ચા તથા ગુજરાતી સર્જક કે ગુજરાતી કળાકૃતિ ઉપરના આ લેખોમાં એમની નિજી દૃષ્ટિનો પરિચય થાય છે. એમણે અંગ્રેજીમાં શ્રીમદ્ રાજચંદ્ર (૧૯૮૦) નામક લઘુ ચરિત્ર પુસ્તક લખ્યું છે. એ ઉપરાંત અંગ્રેજી કૃતિ ધ ચેર્સનું ખુરશીઓનાં નામે અને ધ ડીફેન્સ ઓફ પોએટ્રીનું કવિતાનું બચાવનામું નામે તેમણે ભાષાંતર કર્યું હતું. તેઓ ૧૯૯૪માં નિવૃત થયા હતા અને ૧૩ જૂન ૨૦૦૧ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877