આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન છે.
શિક્ષકોનું સન્માન, ઓળખ અને ઉજવણી કરવાનો આ દિવસ છે. શિક્ષક દિન એ સર્વેપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિની ઉજવણી છે. રાધાકૃષ્ણનનો જન્મ વર્ષ 1888માં તમિલનાડુના તિરુતાની ગામમાં એક ગરીબ પરિવારમાં થયો હતો. તેઓ નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ ઝડપી હતા. તેમણે ફિલોસોફીમાં એમએ કર્યું અને 1916માં ફિલોસોફીના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મદ્રાસ રેસીડેન્સી કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું. થોડા વર્ષો પછી તેઓ પ્રોફેસર બન્યા. તેમની અદભૂત શિક્ષણ કૌશલ્યને કારણે ઘણી ભારતીય યુનિવર્સિટીઓ ઉપરાંત, કોલંબો અને લંડન યુનિવર્સિટીએ પણ પ્રમાણભૂત ડિગ્રીઓ એનાયત કરી. આઝાદી પછી, તેમણે ઘણા મહત્વપૂર્ણ પદો પર કામ કર્યું અને પેરિસમાં યુનેસ્કો સંસ્થાની કાર્યકારી સમિતિના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા. તેમણે 1949 થી 1952 સુધી રશિયામાં ભારતના રાજદૂત તરીકે પણ સેવા આપી હતી. આ પછી વર્ષ 1952 માં તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને પછી તેઓ રાષ્ટ્રપતિ બન્યા. બાદમાં તેમને ભારતીય સર્વોચ્ચ સન્માન મરણોત્તર ભારત રત્ન પણ આપવામાં આવ્યો હતો. રાધાકૃષ્ણન એક આદરણીય શિક્ષણશાસ્ત્રી હતા અને એક મહાન વિદ્વાન તથા ફિલોસોફર હતા. ડો.રાધાકૃષ્ણને તેમના જીવનના મહત્વપૂર્ણ 40 વર્ષ એક શિક્ષક તરીકે દેશને આપ્યા છે. એકવાર તેમના વિદ્યાર્થીઓએ તેમને આદરપૂર્વક પૂછ્યું, શું તેમને તેમનો જન્મદિવસ ઉજવવાની મંજૂરી આપશે? ડો. રાધાકૃષ્ણને કોઈ વિશેષ ઉજવણી કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ વિદ્યાર્થીઓને એમ સૂચવ્યું હતું કે, તેઓ સમાજમાં તેમના યોગદાનને ઓળખવા માટે દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવી શકે છે. આમ, આ રીતે આપણા દેશમાં શિક્ષક દિવસની ઉજવણીની (Celebration of Teacher’s Day) શરૂઆત વર્ષ 1962માં ડૉ. રાધાકૃષ્ણનના રાષ્ટ્રપતિ બનવા સાથે થઈ હતી. આ દિવસ બધા શિક્ષકો અને શિક્ષકોનું સન્માન કરવાનો અને કૃતજ્ઞતા દર્શાવવાનો છે. સમગ્ર ભારતમાં શાળાઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ડો. રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ આપીને આ દિવસની ઉજવણી કરી રહી છે. ઘણા વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોને કાર્ડ અને ભેટ આપીને તેમની પ્રશંસા અને કૃતજ્ઞતા દર્શાવે છે. આવો, આપણે પણ એ સૌ શિક્ષકોને યાદ કરીને વંદન કરીએ જેમણે આપણને શિક્ષા આપીને જીવનની દિશા બદલી છે. 👏💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877