દાર્શનિક અને શ્રધ્ધેય વિદ્વાન પંડિત સુખલાલજી સંઘવી (1880-1978) નો આજે જન્મદિવસ છે. જન્મ લીંબડી ગામમાં. સાત ધોરણ સુધીનો અભ્યાસ વતનમાં. સોળમાં વર્ષે શીતળાથી આંખ ગુમાવી. ૧૯૦૪ થી ૧૯૨૧ સુધી કાશી-મિથિલામાં ભારતીય દર્શનનો અભ્યાસ. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં અને ૧૯૩૩ થી ૧૯૪૪ સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપન. ૧૯૪૪માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં અને પછી ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં અધ્યાપન. ૧૯૫૧માં અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદના પ્રાકૃત અને જૈન ધર્મવિભાગના તથા તત્વજ્ઞાન વિભાગના પ્રમુખ. ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટી તરફથી, ૧૯૬૭માં સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી અને ૧૯૭૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ડી.લિટ.ની માનાર્હ પદવી. ૧૯૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૭૪માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણનો ખિતાબ મળ્યો. તેમનાં સર્જનોમાં જોઇએ.. ચાર તીર્થંકર’ (૧૯૫૯), ‘સમદર્શી આચાર્ય હરિભદ્ર’ (૧૯૬૧) અને ‘મારું જીવનવૃત્ત’ (મરણોત્તર, ૧૯૮૦) એમના ચરિત્રગ્રંથો છે. આ ઉપરાંત ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરેને આવરી લેતા લેખો ‘દર્શન અને ચિંતન’ –ભા. ૧-૨ (૧૯૫૭)માં સંચિત થયા છે. ‘તત્વાર્થસૂત્ર’ (૧૯૩૦) એમનો જૈન ધર્મ-દર્શનનો પ્રમાણભૂત પાઠ્યગ્રંથ છે. ‘અધ્યાત્મવિચારણા’ (૧૯૫૬), ‘ભારતીય તત્વવિદ્યા’ (૧૯૫૯), ‘જૈન ધર્મનો પ્રાણ’ (૧૯૬૨) વગેરે એમના અન્ય ગ્રંથો છે. જ્ઞાનબિંદુ, યોગદર્શન, પ્રમાણમીમાંસા એ તેમની અન્ય કૃતિઓ છે. એમણે સંપાદન અને સંશોધન ક્ષેત્રે અનેકવિધ દિશામાં કામ કર્યું છે; તેમાં ભારતીય દર્શન શાસ્ત્રના સંદર્ભગ્રંથ સમાન સિદ્ધસેન દિવાકરકૃત ‘સન્મતિ તર્ક’ – ભા. ૧-૬ (૧૯૨૦-૧૯૩૨)નું સંપાદન મૂલ્યવાન પ્રદાન છે. તા. 2 માર્ચ 1978 નાં દિવસે તેમનું અવસાન થયું હતું. ભાવવંદન 👏💐 ✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય (શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)