ધાર્મિક શિવ કથા : ભાગ 217
શ્રાવણ સુદ પાંચમ : શિવ પરિવાર
🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️
સૃષ્ટિના સંહારક શિવજીને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. અન્ય દેવોની જેમ શિવને મૂર્તિ રૂપે નહી પૂજતા તેમનું પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. શ્રાવણના મહિનામાં ભગવાન શિવ અને માં પાર્વતીની પૂજાનું વિશેષ મહત્વ છે. હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનાને અને ખાસ કરીને દેવોના દેવ મહાદેવ ભગવાન શંકરનો મહિનો માનવામાં આવે છે. આ સબંધમાં પૌરાણિક કથા છે કે જયારે સનત કુમારોએ મહાદેવને આ મહિનો પ્રિય હોવાનું કારણ પૂછ્યું, તો મહાદેવ ભગવાન શિવે જણાવ્યું છે કે જયારે દેવી સતીએ એના પિતા દક્ષના ઘરમાં યોગશક્તિથી શરીરનો ત્યાગ કર્યો હતો અને બીજા જન્મમાં દેવી સતીએ પાર્વતીના નામથી હિમાચલ અને રાની મૈનાના ઘરમાં પુત્રીના રૂપમાં જન્મ લીધો. પાર્વતીએ યુવાવસ્થામાં શ્રાવણ મહિનામાં નિરાહાર રહીને કઠોર વ્રત કર્યું અને શિવજીને પ્રસન્ન કરીને વિવાહ કર્યા, જે પછીથી જ મહાદેવ માટે આ મહિનો વિશેષ થઇ ગયો, જેની આપણે સૌ ભાવથી ભક્તિ અને પૂજા કરીએ છીએ. શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન, કાચબો અને પોઠીયો પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે. દક્ષિણ ભારતમાં કાર્તિકેયને મુરુગન સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં હનુમાન અને ગણેશનાં અલાયદા મંદિરો પણ જોવા મળે છે પરંતુ કાર્તિકેયનું અલાયદુ મંદિર જોવા મળતું નથી કે નથી તો તે શિવાલયમાં જોવા મળતાં, તેનુ કારણ એ છે કે ગુજરાતમાં કાર્તિકેયની દેવ તરીકે પૂજા થતી નથી. ભગવાન દત્તાત્રેયને કાર્તિકેયનો અવતાર માનવામાં આવતો હોવાથી, તેમના અનુયાયીઓ કાર્તિકેયની પૂજા કરતા હોય છે. સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક આદર્શ કુટુંબ છે, જેમાં નાના મોટા સૌ કોઇ પુજાયા છે. તેઓ તો પુજાયા એટલું જ નહિ તેમના વાહનો પણ પુજાયાં છે. કાર્તિક સ્વામીને મોરનું વાહન છે. ગણેશજીનું વાહન ઉંદર છે. પાર્વતી માતાની સિંહ પર સવારી છે, ત્યારે શાંત થયેલ ભોળાનાથને નંદી પ્રિય છે. શિવજીને આભૂષણ નાગદેવતાનાં છે. સામાન્ય સમતુલના કરીએ તો દરેક વાહન એકબીજાથી જુદા જુદા સ્વભાવનાં છે છતાં તેનાં સ્વામી શિવજી હોવાથી સહુ પ્રેમથી સાથે રહે છે. બધાના સ્વભાવ જુદા જુદા હોવા છતાં ભેગા થઇ કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવજીની આ કથા આપે છે. શિવ મહાપુરાણ સ્વયં ભગવાન શિવજીએ રચ્યું છે. તેનું સંક્ષિપ્ત સ્વરૂપ વેદ વ્યાસજીએ આપ્યું છે.
🌷 ।। हर हर महादेव ।। 🌷
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય, રાજકોટ
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877