જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.
“સેવાને સ્મરણ જગમાં કરવાનાં બે કામ,
જનસેવા કરવી ને લેવું પ્રભુનું નામ”
આ મંત્રને જીવનારા આ લોકસેવકનો જન્મ ઇ. સ. ૧૯૦૮માં ૧૯મી મે ના રોજ એટલે કે વિક્રમ સંવત ૧૯૬૪ ની વૈશાખ વદ બીજના દિવસે શ્રી ભાઇશંકરભાઇ અને લલિતા બેનના ત્યાં ધંધુકા ખાતે વાલમ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. બાળપણનું નામ બાલકૃષ્ણ હતું. બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી અને આર્થિક કંગાળ પરિસ્થિતિને કારણે રેલ્વે સ્ટેશન પર મજૂરી સહિત આર્થિક ઉપાર્જન માટે વિવિધ પ્રવૃત્તિઓ કરતા રહ્યા. નાનપણથી તેઓ માટલાની બે ઠીકરીઓ વગાડીને કીર્તન કરતાં. રામનામનું રસાયણ ભવ રોગને હરે છે. તેવા વાકયે ક્ષય રોગથી નિરાશ બાલકૃષ્ણનાં જીવનમાં પરિવર્તન આણ્યું. તેમને મીઠી હલકે ભજન ગાતા જોઇને રાધેશ્યામ મહારાજે તેમને પુનિત મહારાજ નામ આપ્યું અને તેઓ એ જ નામે ઓળખ્યા. પુનિત મહારાજે રામના ગુણોનું વર્ણન કરવાં રામાયણ રચવાનો નિર્ણય કર્યો જે પૂર્ણ થયે ડાકોર રાજા રણછોડરાય સમક્ષ નવ દિવસ વાંચન કરી સાંભળવ્યું. ત્યારબાદ ભજન શરૂ કર્યા. તેઓ સ્વખર્ચે ભજન કરતા. ભાખરીદાન અને નેત્રયજ્ઞ અભિયાનના પ્રણેતા હતા અને સમાજસેવા માટે ફાળો પણ ઉઘરાવતા, જેનો અણિશુદ્ધ હિસાબ રાખતા. તેમણે કૃષ્ણભક્તિનાં અનેક ભજનો રચ્યાં છે અને આ ભજનો ગુજરાતીઓની લોકજીભે હરરોજ ગવાય છે. ખાસ કરીને તેઓ ડાકોરના રણછોડરાયજીના પરમ ભક્ત હતાં અને તેથી કરી તેમણે રણછોડજીનાં અનેક ભજનો રચ્યાં છે. રણછોડજીની તીથીઓ, સાત વાર, રણછોડજીની આરતિ, વિગેરે ઉપરાંત ‘ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી…’ તેમનું ખુબજ લોકપ્રિય ભજન છે. તેમણે શરૂ કરેલું જનકલ્યાણ માસિક આજે પણ લોકપ્રિય છે. તેમનું અવસાન ૨૭ જુલાઈ, ૧૯૬૨ના રોજ થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
નોંધ : તેમનાં જીવન ઉપર એક પુસ્તક પણ પ્રકાશિત થયેલું છે,


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877