ગુજરાતી લેખક અને પત્રકાર ભગવતીકુમાર શર્મા (1934-2018) નો આજે જન્મદિવસ છે.
તેમનો જન્મ ૩૧ મે ૧૯૩૪ના રોજ સુરતમાં હરગોવિંદભાઇ અને હીરાબેનને ત્યાં થયો હતો. જ્ઞાતિએ શ્રીમાળી બ્રાહ્મણ. વતન અમદાવાદ પરંતુ પાંચેક પેઢીથી સૂરત મુકામે વસવાટ. માતા વાચનરસિક અને પિતા નાટ્યરસિક હતાં. ભગવતીકુમારમાં બાળપણથી જ તેમનાં માતા-પિતાના ધાર્મિક સંસ્કારનું સિંચન થયું. એમણે શાળાનું શિક્ષણ સૂરતમાં લીધું. 1950માં એસ. એસ. સી. થયા. આંખની તકલીફને કારણે આગળ અભ્યાસ ન કરી શક્યા. 1969માં અભ્યાસ પુન: શરૂ કર્યો. 1974માં 40 વર્ષની વયે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-અંગ્રેજી સાથે બી.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. ઈ.સ. 2000ના વર્ષે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રમાં એમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ ‘ડૉક્ટર ઑવ્ લેટર્સ’ (ડી.લિટ્.)ની માનાર્હ પદવી એનાયત કરી. ઈ. સ. 1954 થી સૂરતના પ્રતિષ્ઠિત દૈનિક વર્તમાનપત્ર ‘ગુજરાત મિત્ર’ના તંત્રી વિભાગમાં જોડાયા. ઈ. સ. 1994માં સહાયક તંત્રી તરીકે નિવૃત્ત થયા પછી પણ ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં તેઓ સક્રિય રહ્યા. તેઓ ૨૦૦૯ થી ૨૦૧૧ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા. 1948ની 30મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની થયેલી હત્યાના આઘાતથી પ્રેરાઈ પ્રથમ કાવ્ય લખ્યું. 1950થી લેખનકાર્ય સતત વધતું ગયું. 1955માં પ્રથમ વાર્તા ‘પતનની એક પળ’, ‘‘સવિતા’’ વાર્તા- માસિકમાં પ્રકાશિત થઈ. 1956માં તેમની પ્રથમ નવલકથા ‘આરતી અને અંગારા’ પ્રસિદ્ધ થઈ. એ પછી અનેક સાહિત્યસ્વરૂપોમાં સતત અને સત્વશીલ લખતા રહ્યા. અસૂર્યલોક, સમયદ્વીપ, ઊધર્વમુલ, વીતી જશે આ રાત, રિક્તા, ન કિનારો ન મઝધાર, હ્રદયદાન, પડછાયા સંગ પ્રીત, અડાબીડ વગેરે નવલકથાઓ છે જયારે કવિતાઓમાઃ જોઇએ તો.. છંદો છે પાંદડા જેના, ઝળહળ, ગઝલનો કરીએ ગુલાલ વગેરે છે. સાહિત્યની લાંબી કારકિર્દી દરમિયાન પંદર હજારથી વધુ તંત્રીલેખો લખ્યા હતા. સત્યનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ અને નિર્ભીક પત્રકારત્વના ખેડાણ માટે એક લાખ રૂપિયાનું ‘નચિકેતા પારિતોષિક’ સ્વ. પ્રધાનમંત્રીશ્રી અટલબિહારી વાજપેયીને હસ્તે દિલ્હીમાં અર્પણ થયું હતું. ગુજરાત સ્થાપના દિને 2004માં ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ સાહિત્યકાર-પત્રકાર તરીકેનું સન્માન તેમને મળેલું. 65 જેટલી સાહિત્યની રચનાઓનાં આ સર્જકને કુમાર ચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી પુરસ્કાર સહિત અનેક પુરસ્કાર મળેલા. 84 વર્ષની વયે તેમનું અવસાન તા. પ સપ્ટેમ્બર 2018 માં થયું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877