ધાર્મિક કથા : ભાગ 48
ઔદીચ્ય બ્રાહ્મણ ગૌતમી કૂળનાં કૂળદેવી શકટામ્બિકા માતાજી – ગામ : પસવાદળ, સિધ્ધપુર
🛕 🚩 👏 💐 🕉️ 🛕
પાટણમાં જગદીશ મંદિરની મુલાકાત બાદ 29 જુન સવારે 7.30 વાગે પાટણ નિવાસી
મારા સાળી ભારતી હર્ષદકુમાર ઠાકર તથા તેમનાં પૂત્રવધૂ હેતલે પ્રસન્નતાપૂર્વક વિદાય આપી અને હું (મનોજ) તથા મારા ધર્મપત્ની નયના અમારા કૂળદેવીનાં દર્શને સિદ્ધપુર પાસે આવેલા પસવાદળ ગામે જવા રવાના થયા જ્યાં અમે 8 વાગે પહોંચ્યા અને માંના અતિ ભાવપૂર્વક વંદન કર્યા. પૂજારી રાજુભાઈ દવેએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા કરાવી. થોડા સમય પહેલા (14 મે, 2022) પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” એ પણ પોતાના કૂળદેવીનાં દર્શનાર્થે પધારેલ હતા. ચાલો, આપને આ મંદિર સાથે જોડાયેલો અમારો ઇતિહાસ પણ જણાવીએ…
આજથી લગભગ ૧૧૦૦ વર્ષ પહેલા ઉત્તર ગુજરાતના સિદ્ધપુર-પાટણના ગાદિપતી શ્રી મુળરાજ સોલંકી રાજા (૯૪૦-૯૯૭) એ પોતાના શાસન કાળ દરમ્યાન કરેલ અનેક કપટો અને હત્યાઓના પ્રાયશ્ચિત માટે શ્રી સ્થળ (સિદ્ધપુર) કે જેનો મહિમા ભાગવતના ત્રીજા સ્કંધમાં વણવ્યો છે કે જે અનેક ઋષિઓને ભુમિ છે, જયાં સરસ્વતિનો વાસ છે. જેનાથી સ્વર્ગ વેંત છેટુ ગણાય છે, તેવી પવિત્ર તીર્થ ભુમિમાં રાજાએ અતિ ભવ્ય રૂદ્ર મહાલય બનાવવાનું શરૂ કર્યું. તે સંબંધિ યજ્ઞાદિ કાર્યો માટે રાજાએ ઉત્તર ભારતના જુદા જુદા સ્થળોઓથી કુલ મળી ૧૦૩૭ પવિત્ર વિદ્વાન તેજસ્વી બ્રાહમણોને તેડાવ્યા. આ બ્રાહ્મણો પૈકી જે ગૌતમ ગોત્રી બ્રાહ્મણો છે તેમને પુષ્પવતી નગરી દાનમાં આપી. ગૌતમી બ્રાહ્મણોએ પોતાની આરાધ્ય દેવીને ગાડામાં લઇ આવ્યા હતા. આ નગરીમાં અનેક વાવ, તળાવ હતા. આવી ભવ્ય નગરીમાં માતાજીનુ ગાડું એકાએક અટકી ગયું. ગૌતમી બ્રાહ્મણોએ માતાજીના મરજીથી આ પુષ્પવતી વગરીમાં માતાજીની સ્થાપના કરી. ગાડામાં માતાજીની સવારી હોવાથી ગાડું એટલે કે શકટ અને શકટમાં બીરાજેલા અંબીકા એટલે કે શકટામ્બીકા તરીકે ઓળખાયા. માતાજી આ નગરીમાં બીરાજમાન થવાથી ગૌતમી બ્રાહ્મણો પુષ્પાદલીયા તરીકે ઓળખાયા. કાળક્રમે વિધિના વિધાનથી કે કોઇ તપસ્વીના શ્રાપથી આ નગરીનો નાશ થઇ ગયો. લોકો ગામ છોડી ચાલ્યા ગયા. કેટલાક વર્ષો પછી માતાજીના મંદીરના આધારે અગાઉના વર્ષોમાં કોઇ ગામ હશે તે કલ્પનાથી સૌ પ્રથમ રબારી કોમે માતાજીના મંદીર પાછળ લગભગ ૮૦૦ વર્ષ વસવાટ કર્યો. તે પછીધીમે ધીમે અનેક કોમોએ વસવાટ કર્યો અને નવિન પસવાદળ ગામ તરીકે વિકાસ પામ્યું અને સંવત ૧૯૭૧ ને માહસુદ-૭ ને શુક્રવારના રોજ માતાજીનો પુનઃ જીર્ણધ્ધાર કરી વિધિપુર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તે પછી દિન પ્રતિદિન ગૌતમી બ્રાહમણોની દર્શનાર્થે આવતી સંખ્યામાં વધારો થતો ગયો તેમ તેમ ગૌત્રીઓના ઉદાર દાનથી અને વહીવટકર્તાઓની સાચી નિષ્ઠા, સેવાભાવના અને ગામવાસીઓના સહકારના ત્રિવેણી સંગમથી નવિન જમીન સંપાદન કરી યજ્ઞશાળા, અનેક રૂમો, હોલ, રસોડું વિગેરે બંધાવી સ્થાપના વિકાસ કાર્યોનો પ્રારંભ થતો ગયો અને હાલમાં પણ વિકાસ કાર્યો થતા રહે છે. અહીં મહાસુદ ૭ ના રોજ માતાજીના પાટોત્સવની ઉજવણી થાય છે. વિશેષ માહિતી જોઈએ તો
ગૌતમી બ્રાહ્મણોના
કુળદેવી – શકટામ્બિકા માતાજી છે. ગણેશ – મહાદર છે. શિવ – વિરેશ્વર છે. ભૈરવ – કાલભૈરવ છે. ગ્રામદેવતા – વિરપાનાથ છે. પ્રવર−૩ ગૌતમ, આંગીરસ, સાંક્ત છે. વેદ – શુકલ યજુર્વેદ છે. શ્રી શકટામ્બિકાના વિવિધ સ્વરૂપો આ પ્રમાણે છે. 👇
રવિવાર – વાધ સવાર- અંબિકારૂપે
સોમવાર – નંદી સવાર – પાવર્તીરૂપે
મંગળવાર – સિંહ સવાર – શકટામ્બિકા રૂપે
બુધવાર – ઐરાવત સવાર – ઇન્દ્રાણીરૂપે
ગુરૂવાર – ગરૂડ સવાર – વૈષ્ણવીરૂપે
શુક્રવાર – હંસ સવાર – સરસ્વતીરૂપે
▶️ માતાજીના દર્શને પસવાદળ જવા માટે સિદ્ધપુર બસ સ્ટેન્ડ પરથી અનેક બસોની સુવિધા મળી રહે છે. અંગત વાહનો દ્વારા સિદ્ધપુરથી પાલનપ
ુર જતા ૮ કી.
મી. અંતરે તેનીવાડા બસ સ્ટેન્ડની સામે (હાઇવેથી જમણી બાજુ) પસવાદળ તરફ જવા માટે પાકા રોડ ઉપર મંદીર સુધી જઇ શકાય છે. માતાજીના સ્થાનકમાં યાત્રીકો માટે રાત્રી રોકાણની અને જમવાની સુવિધા પણ છે, જેના માટે અગાઉથી પુજારી શ્રી રાજુભાઈ દવેનો સંપર્ક કરવો. મોબાઈલ 94270 40721 હાલમાં પણ અનેક યાત્રીકો માતાજીના સ્થાનકે આવી પાઠ, પુજા, થાળ, પુજન, અર્ચન કરી પોતાની મનોવાંચ્છીત ફળ મેળવી ધન્યતા અનુભવે છે.
🙏🏻 જય શકટામ્બિકા માં 🙏🏻
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877